આજે વિશ્વ માતૃભાષા દિન
ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર – અખા ભગત.
આજે વિશ્વ માતૃભાષા દિન છે અને આજે તે દિન બાબતે લખવાનું મને પણ મન થયું. તો આ પ્રસંગે મને એક અકબર-બિરબલની વાર્તા યાદ આવે છે. "એક વખત અકબરના દરબારમાં કોઈ વિદ્વાન આવ્યા અને દુનિયાભરની તમામ ભાષાઓ ઉપર તેણે પોતાની વાતો કરી. પછી દરબારમાં તેણે પડકાર ફેંક્યો... કે આ બધી ભાષાઓમાંથી મારી મૂળ માતૃભાષા કઈ છે? તે જાણી બતાવો. આખરે બીરબલે બીડું ઝડપ્યું... તેને ઓચિંતો ઊંઘમાંથી જગાડી દીધો અને બીવડાવ્યો ત્યારે તે તેની મૂળ ભાષામાં બોલી પડ્યો. તે તેની મૂળ માતૃભાષા ગણાઈ". એટલે આ વાર્તાનો મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે સભાનપણે તો તમે શીખેલી તમામ ભાષાઓ બોલી શકો. પરંતુ જ્યારે ઓચિંતી કોઈ ઘટના ઘટે ત્યારે તમારાથી જાણે-અજાણે પણ મૂળ માતૃભાષામાં જ આપણો હાયકારો નીકળી જાય. એવી જ રીતે જ્યારે બે વ્યક્તિઓ ઝઘડતા હોય અને જ્યારે ઝઘડો તેની ચરમસીમાએ પહોંચે ત્યારે તેઓ મૂળ માતૃભાષામાં જ ગાળો બોલતા હોય છે. મૂળ માતૃભાષામાં આપણને ગાળોનો ખજાનો ઠાલવવાની જે મજા આવે તે અન્ય શીખેલી ભાષામાં ના આવે.
આજનું જ્ઞાન... કવિતા સ્વરૂપે:
“મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે....
ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે....
મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ...
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.”
....રઈશ મનીઆર
Comments
Post a Comment